6250
આજનો વિચાર
જે વાત તમને આસાનીથી સમજાઇ જતી હોય તે સમજવામાં અન્યોને પારાવાર મુશ્કેલી પડતી હોય તેવું પણ બને.
આજનો પ્રયત્ન
આજથી અમર્યાદિત ઇન્ટરનેટનો મર્યાદિત ઉપયોગ કરીશ. રોજના ફક્ત ૪ કલાક. સવારે બે અને રાત્રે બે.
આજની વાત
૭૦ની આસપાસ પહોંચેલા ત્રણ દંપતિ ગઇકાલે સાંજે મારા પિતાજીને મળવા આવ્યા હતા. તે સૌ હાલ મુંબઇ રહે છે. વેકેશનમાં બે ચાર સપ્તાહ માટે વલસાડ આવતા હોય છે. તેમની પાસેથી જાણવા મળેલી કેટલીક વાતોએ મને ચોંકાવી મૂક્યો.
૧. મહારાષ્ટ્રનું પાટનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઇના વિકાસ તેમજ સમૃધ્ધીમાં જે ગુજરાતીઓનો નોંધપાત્ર ફાળો છે તેમના બાળકોને ગુજરાતી ભાષા શીખવતી એકપણ સ્કૂલ હવે મુંબઇમાં રહી નથી. બલ્કે મરાઠીનું શિક્ષણ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
૨. પરણવાની ઉંમરે પહોંચેલ ૨૦ થી ૪૦ હજાર કે તેથી પણ વધુ કમાનાર કારકિર્દીલક્ષી કન્યાઓ હવે છોકરાઓને લગ્નપૂર્વે પૂછે છે તે તારા ઘરમાં કેટલા ‘ડસ્ટબીન’ છે? ડસ્ટબીન એટલે છોકરાના માતા, પિતા અને અપરણિત બહેનો.
૩. હવે મુંબઇમાં રહેવાય તેમ નથી અને આ ઉંમરે છોડાય તેમ પણ નથી. ૩ લેયરની જીન્દગી જીવવી પડે છે. ત્રીજી પેઢીના પૌત્રો–પૌત્રીઓ નક્કી કરે કે ઘરમાં કોણ – દાદા, દાદી, મોમ, ડેડ – શું ખાશે, પીશે, પહેરશે અને ઓઢશે. ક્યારે કેટલીવાર કોની સાથે કેવી રીતે બહાર ખાવા, પીવા કે ફરવા જવાનું.
૪. સરેરાશ ૬૦ થી ૭૦ લાખની કિંમતના ફ્લેટના માલિક છીએ એમ માનીને મનમાં ને મનમાં હરખાયા કરવાનું જે હવે દિકરા–વહુ જ વાપરવાના છે અને તે પર હવે પોતાનો હક કે અધિકાર મેળવવાનો વિચાર માત્ર ધ્રુજારી કરાવી જાય છે.
૫. આ બધું છોડીછાડીને વતન જવાનુંયે બહુ જ મન થઇ આવે છે પણ … શું કરીએ ?
મને સવાલ એ થાય છે કે .. તેમની વાતમાં રહેલી સચ્ચાઇનો સરવાળો અને અતિશયોક્તિની બાદબાકી કરીને મુંબઇના ગુજરાતીઓની જીન્દગીમાં હાડમારી અને ભાગમભાગ સીવાય કંઇ બાકી રહે છે ?
– અખિલ સુતરીઆ
પ્રણામ અખિલભાઈ અને સહુ મિત્રો ને…
તમારા જેવું જ હું પણ વિચારું છું..
મારા પપ્પાએ મને ખવડાવી, પીવડાવી અને ભણાવી ને મોટો કર્યો..એકેય રૂપિયો નાં આપ્યો છતાં હું જેવું જીવું છું એના કરતા થોડું ઉતરતા લેવલ નું જીવન મારા જીજાજી ખુશી થી જીવે છે, એમના પપ્પા એમના માટે ઢગલે બંધ FD અને ઢગલે બંધ ઝવેરાત મુકીને ગયા તો પણ..
ટૂંક માં આપણે બધા લોકો ફક્ત જોઇને કે વિચારી ને ખુશ થવામાં જ માનીએ છીએ, નહિ કે વાપરવામાં..
આપણી સહુની જીંદગી genarally તો જે છે એની ખુશી માણવા કરતા જે નથી એના વિષે વિચારી-વિચારીને દુઃખી થવામાં જ પૂરી થઇ જાય છે..
ઘણી વાર તો જીવવાનું કારણ પણ મળતું નથી અને આપણે જીવીએ રાખીએ છીએ..
શું કહો છો?