જયારે વ્યક્તિ

 6338

આજનો વિચાર

જયારે વ્યક્તિ અન્યાય સામે લડવા ઊભો થઇ ન શકે ત્યારે તેનો આત્મા મૃત્યુ પામે છે.

આજનો પ્રયત્ન

આજથી અમર્યાદિત ઇન્ટરનેટનો મર્યાદિત ઉપયોગ કરીશ.  રોજના ફક્ત ૪ કલાક. સવારે બે અને રાત્રે બે.

આજની વાત

યુવાન યુગલ મને મળવા આવ્યું. છોકરો ૨૭નો ઓછું ભણેલો અને છોકરી ૨૫ની પોસ્ટ ગ્રેજયુએટ.  સાત–આઠ મહિના પર જ લગ્ન થયા છે. બંને એક સાથે એક જ કંપનીમાં નોકરી કરે છે.  ઘરેથી કામ પર આવવા જવાનો સમય પણ લગભગ એક જ. છોકરાને કદીક મોડું થાય. બંનેના પગારનો સરવાળો પાંચ અંક. છોકરો મને જાણે અને કદાચ એવા વિશ્વાસે જ મારી પાસે આવ્યા હતા કે ….

મને કહે, અંકલ, નથી ફાવતું.

મેં પૂછયું, કેમ ?

છોરી કહે કે, એ નાની નાની વાતમાં ખીજાય છે.  મને ચીડવે છે.  નોકરી કરવાની ના પાડે છે. અબોલા કરી લે છે. બે ત્રણ દિવસ સુધી બોલતો જ નથી. મનેય પછી ગુસ્સો આવે એટલે હું ય .. ના જ બોલું.

છોરો કહે કે, કામમાં બહુ ભલી વાર નથી. ઘરકામમાં સાવ ઢીલી પડે છે. મારી વાત જ સાંભળતી નથી. થાકીને લોથપોથ થઇ જાય અને બહુજ જીદ્દી છે.

મેં પૂછયું, લગ્ન શા માટે કર્યા ?

તો બંને કહે, સાથે રહેવા.

મેં પૂછયું, રહેવા કે જીવવા ?

બંને એકમેકની સામે જોવા લાગ્યા. મારી સામે જોયું. વિચારી રહ્યા હતા. પછી બોલ્યા, સાથે જીવવા.

મારો સવાલ લંબાવ્યો અને  ઉમેર્યું, આનંદથી કે કકળાટ કરીને ?

ફટ દઇને બંને બોલી પડયા, આનંદથી જીવવાસ્તો વળી.

ફરી મે મારો સવાલ વધારે લંબાવ્યો, કોના આનંદ માટે ? તારા કે તારા ? ( વારાફરતી બંને તરફ જોયું )

મને મેં ધારેલો તે જ જવાબ મળ્યો. અંકલ, બંનેના.

મેં પૂછયું …. તમારા બંનેનો આનંદ તમારા બંનેના જીવનમાં કોણ લાવી શકશે ?  જો આનંદ નહિ લાવો તો શું આવી જશે ?

સર, સમજી ગયો.  અંકલ, હું પણ સમજી ગઇ.

મેં કહ્યું, હું પણ સમજી ગયો…… જાવ મોજ કરો.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in પ્રેરણા, માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.